જીવનસંધ્યા માટે સાચા અર્થમાં એક સૂરીલી સંધ્યા

Filed Under (અમદાવાદ) by manthan on 06-02-2009

મિત્રો ૨૫ જાન્યુઆરીની સાંજ જીવનસંધ્યા માટે સાચા અર્થમાં એક સૂરીલી સંધ્યા બની રહી. જીવનસંધ્યા નારણપુરા અમદાવાદ ખાતે આવેલો એક વૃધ્ધાશ્રમ છે જ્યાં લાગણીની નદીઓએ ફરજિયાત થંભી જવું પડ્યું છે. સંતાનોની હૂંફ અને ઘરની છત નીચે રહી શકવાને બદલે અહીં આ મકાનમાં આશ્રય લેવો પડ્યો છે તેમને થોડો આનંદ આપી શકવાનો એક પ્રયત્ન ‘ ધબકાર ’ પરિવારે કર્યો. દર બે અઢી મહિનાના અંતરે યોજાતી ધબકારની બેઠક આ વખતે અહીંના વડીલોની નિશ્રામાં યોજાઈ. રવિવારની એ સાંજને સૂર અને શબ્દથી ભરી દેવાનો ધબકારના સભ્યોનો આ પ્રયત્ન હતો.
દર વખતની જેમ સુંદર ગીતો અને કાવ્યોનો ખજાનો લઈને ધબકારના કવિઓ ગાયકો અને તેમને સંગીતમાં સાથ આપનારા મિત્રોએ બેઠકની શરૂઆત કરી. આ સમયે ગુજરાતના જાણીતા અને માનીતા હાસ્ય લેખક શ્રી અશોક દવે અમારા આમંત્રણને માન આપીને હાજર રહ્યા જે અમારા સૌ માટે ગર્વની વાત બની રહી.
ડૉ. કેદાર ઉપાધ્યાયના પ્રાર્થના ગાન સાથે શ્રી અશોક દવે અને જીવન સંધ્યાના સંચાલકશ્રીએ દિપ પ્રાગટ્યથી બેઠકનો પ્રારંભ કર્યો. અમારા વડીલ સુધા આંટીએ મહેમાનોનું સ્વાગત કરીને ધબકાર ડૉટ કોમ પર પ્રસિધ્ધ થતા અમારા ઈ-મેગેઝિન ‘અભિવ્યક્તિ અંક - ૫’નું વિમોચન કર્યું. અને શ્રી અશોક દવેએ તેમની શૈલીમાં સંબોધન કરીને સૌના ચહેરા પર હાસ્ય રમતું કરી દીધું. સાથો સાથ ‘જીવન સંધ્યા’માં રહેતા વડીલો સામે એક રહસ્ય તેમણે ખોલ્યું – ‘ તમને અહીં મોકલી દઈને તમારા સંતાનોએ તમને ગુમાવ્યા છે. તમે સૌ અહીં એક નિશ્ચિંત જીવન જીવો છો, ગુમાવ્યું તો એમણે છે.’ અશોકભાઈના આ શબ્દોએ વાતાવરણને જીવંત બનાવી દીધું. અને એ માહોલમાં બેઠકને આગળ ધપાવી, શરૂ થયો સૂર અને શબ્દની સાધનાનો પ્રયત્ન. ત્યારબાદ બેઠકના સંચાલનનો દોર ડૉ. પાર્થે સંભાળ્યો.
કવિશ્રી અંકિત ત્રિવેદીના એક ગીત – ‘સાત સૂરોના સરનામે અમે તમને મળવા આવ્યા…’ સમૂહમાં ગાઈને ધબકારના સભ્યોએ હાજર રહેલા સૌને આવકાર્યા. નિધી મહેતાએ – એક નવું જ કમ્પૉઝિશન ‘રસ સભર મન’ સંભળાવ્યું
તો વળી ડો.ફુલવાએ ખૂબ જાણીતું ગીત ‘ખોબો ભરીને અમે એટલું હસ્યાં’ એ એક અલગ જ રીતે રજૂ કર્યું. ત્યારબાદ ખુશ્બુએ ‘પૂછીને થાય નહીં પ્રેમ’ એ ગાઈને સંભળાવ્યું-સમજાવ્યું. જ્યારે ગાંધીનગરની નુપુર ખુમારે શ્રી મુકેશ જોષીની રચના ‘હરિ તમે તો સાવ જ અંગત,સાંભળજો આ અરજી’ ગાઈને વાતાવરણ ભાવવિભોર કરી દીધું.પ્રભુને સમજાવ્યાં કે કેવી રીતે તમારે મારા માવતર પાસે મારા હાથની માગણી કરવાની છે અને છતાંય જો ઘરનાં લોકો લગ્નની મંજૂરી ના આપે તો હું તમારી સાથે આવીશ, આપણે ભાગીને લગ્ન કરી લઈશું…ઘર માંડીશું, અમૃત અમૃત થાશું. આવી સુંદર રચના સાંભળીને સૌ ડોલી ઊઠ્યાં. તો વળી કૃતિ જોષીએ ‘સાયબો મારો ગુલાબનો છોડ” ગાઈને સૌને ઝૂમતાં કરી દીધા. રુચિ ત્રિવેદીએ “નજર્યુંના કાંટાની ભૂલ મારા વાલમા, વીંધે હૈયું ને તોયે ફૂલ મારા વાલમા’ સંભળાવ્યું, દીપક ઠાકરે ‘બાગમાં ટહૂકો છળે તો શું કરું’ ખૂબ સરસ રીતે રજૂ કર્યું.
ગુજરાતી ગીત-સંગીતના આ દોરમાં વચ્ચે-વચ્ચે ધબકારનાં કવિ મિત્રોએ પોતાની રચના રજૂ કરી જેમાં રેખાબેન જોષીએ ત્યાં હાજર વડીલોની લાગણીને વાચા આપતી એમની ક્રુતિ ‘અમે છીએ દાદા-દાદી, જૂની આંખે નવું ભાળીએ, લાગે થાતી સંસ્કૃતિની બરબાદી, અમે છીએ દાદા-દાદી’ રજૂ કરી.તે ઉપરાંત કૈરવભાઈ ધબકારના ફાઉન્ડર મેમ્બર શ્રી શૈલ્ય શાહે તેમની સાવ જ નવી રચનાઓ સંભળાવી અને અમારા સુધા આન્ટીની કવિતા વિના તો બેઠક અધૂરી જ લાગે. સુધા આન્ટીએ પોતાની રચનાથી જૂના અમદાવાદની છબી તાદ્રશ્ય કરાવી.
આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન સ્ટેજ પર સંગીતમાં સાથ આપનારા મિત્રો હતાં-ડો.કેદાર ઉપાધ્યાય-કી બોર્ડ, હાર્દિક પુરોહિત -હાર્મોનિયમ સાથે. જ્યારે સાઈડ રિધમ અને તબલા સાથે તાલ પૂરાવ્યો લલિત,વત્સલ, અનીસ અને ધૃ5વલે.
કવિ જવાહર બક્ષી લખે છે કે, “કોઈ એકાદ ક્ષણ રહે તો આખા પ્રસંગનું વાતાવરણ રહે.” એવી જ ક્ષણ હતી છેલ્લે જ્યારે ‘જીવન-સંધ્યા’ના તમામ વડીલોએ પોતાના અનુભવસિધ્ધ હાથો વડે ધબકારના સભ્યોને ખૂબ-ખૂબ આશીર્વાદ આપ્યાં. કહેવાની જરૂર ખરી કે હૃદયપૂર્વકના આ આશીર્વાદથી જ હવે પછી યોજાનારી છઠ્ઠી બેઠક પણ એટલી જ અને કદાચ એનાથી પણ વધુ સફળતાથી યોજી શકાશે.
તો આ હતી ધબકારની સફરના પાંચમા પડાવની વાત અને હવે છઠ્ઠાની રાહ…ને આમ જ, માતૃભાષાની અવિરત સેવા કરવાની ચાહ સાથે જ….
-ધબકાર પરિવાર વતી

Leave a Reply

 

Comment moderation is enabled. Your comment may take some time to appear.