‘ધબકાર’ની આઠમી બેઠક ૧ ઓગસ્ટ ૨૦૦૯

Filed Under (અમદાવાદ) by manthan on 13-08-2009

                     સંગીતના ક્ષેત્રમાં પોતાની કળાને રજૂ કરતા સંગીતજીવીઓનો બનેલો પરિવાર એટલે કે ધબકાર પરિવારે અત્યાર સુધીમાં ગાંધીનગર તથા અમદાવાદ ખાતે ૭ બેઠકો યોજ્યા બાદ તા. ૧ ઓગસ્ટ શનિવારના રોજ પોતાની ૮ મી બેઠક યોજેલ હતી.
      
                  અમદાવાદ શહેરના એસ. જી. હાઈવે પરના એક રમણીય સ્થળ ગોકુલ ક્લબ હોટેલ આ માટે પસંદ કરવામાં આવેલ હતું. ધબકાર પરિવારના જ એક સદસ્ય શ્રી અશોકભાઈ ચૌહાણના જન્મદિનને ઓર યાદગાર બનાવતી આ બેઠક ઘણી જ સફળ રહી. ઉપરાંત વરસાદની ઋતુ અને ઘેરાયેલા વાદળોથી રચાયેલું ખુશનુમા વાતાવરણ બેઠકનો મૂડ જમાવવામાં મદદરૂપ થયું. અને આટલું ઓછું હોય તેમ અશોકભાઈએ સર્વે મિત્રો માટે બેઠકના અંતે મજાના ભોજનની વ્યવસ્થા પણ કરી હતી.

                  બેઠકની શરૂઆત સાંજના લગભગ 7 વાગ્યાના સુમારે મા શારદાના ચરણોમાં દીપ પ્રાગટ્ય સાથે ડૉ. કેદાર ઉપાધ્યાયની સ્વરબદ્ધ કરેલી સરસ્વતી વંદના “જય જય હે ભગવતી સૂરભારતી” તેમના જ અવાજમાં રજૂ થઈ. આ ઉપાસના બાદ ધબકારના યુવા કલાકારોએ એક પછી એક પોતાની ભાવ સભર રચના રજૂ કરીને શ્રોતાઓને રસતરબોળ કરી દીધા…

                આ સાથે જ ધબકારના ઈ મૅગઝિન “અભિવ્યક્તિ” અંક - ૫ નું પણ વિમોચન કરવામાં આવ્યું. (જેને આપ *** થી વાંચી કે ડાઉનલોડ કરી શકશો.) અને આ બેઠકના સાક્ષી બનવાનું જો ચૂકી ગયા હો તો આ રહી તેની યાદગીરી…

                ગુજરાતી સુગમ સંગીતની આ સફરમાં નૂપુરે લોક-લાડીલું અને સર્વપ્રિય એવું ગીત “ તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે મને ગમતું રે…. ” પ્રસ્તુત કર્યું જેને લોકોનો ભરપૂર પ્રતિસાદ મળ્યો. અને ત્યારબાદ નવા અને ઉત્સાહી સદસ્ય એવા અર્પણે નાવિન્યતાસભર અને રમતિયાળ ગીત “ પ્રેમ અમારે કરવો ને આ રીત તમારી… ” સંભળાવ્યું. બાદમાં નિધિએ ગુજરાતી સુગમ સંગીતના ક્ષેત્રે એક માઈલસ્ટોન સમું સ્થાન ધરાવતું ગીત “ પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા… ” રજૂ કરીને બેઠકને આગળ ધપાવી. આમ જ્યારે સૌ કોઈ ગુજરાતી સુગમ ગીતોની આ મહેફિલ માણી રહ્યા હતા ત્યારે જ ગુજરાતીઓની જીભે સદાને માટે વસેલું સદાબહાર ગીત “ તારી આંખનો અફીણી તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો…. ” રજૂ કરીને ભાવાર્થ લોકોને ડોલાવી ગયો.

                ત્યારબાદ ખુશ્બૂએ “ છાનું રે છપનું કાંઈ થાય નહીં …” ગાઈને સહુના પગને થીરકતા કરી દીધા જેનો લય વધારવામાં જાણે મદદ કરતા કૃતિએ એક મજાનું ગીત “ કોઈ ધોધમાર વરસે રે સૈ….” અને ધારિણીબેને “ સજન મારી પ્રીતડી સદીઓ પુરાણી… ” જેવું ક્લાસિકલ ટચ ધરાવતું ગીત સંભળાવીને આ બેઠકને યાદગાર બનાવી દેવા માટેનું એક વધુ કારણ પૂરુ પાડ્યું.

                આમ, એક તરફ જ્યાં સંગીતનું પાસુ સૂરમય રહ્યું તે જ રીતે કાવ્યની મહેફિલ પણ ખૂબ જ સુંદર રહી. શૈલ્યભાઈ અને રેખાબેને પોતપોતાના કાવ્યોને વિશેષ શૈલીમાં રજૂ કરીને ધબકારની ઓળખ એવા “ સૂર અને શબ્દના સથવાર ” એ વાક્યને અર્થસભર બનાવ્યું.

                અને કોઈ પણ સ્ટેજ કાર્યક્રમને સફળ બનાવવા માટે સફળ સંચાલન પણ જરૂરી છે … અને એ માટે જોઈએ એક એવો જ સબળ સંચાલક પણ . ધબકારની આ બેઠકને આંગળી પકડીને આરંભથી અંત સુધી દોરી જવાનું કાર્ય સમ્રાટ અશોક દવેએ આગવી ખૂબીથી નિભાવ્યું. પોતાની લાક્ષણિક શૈલીમાં સમ્રાટે કલાકારો અને ઑડિયન્સ વચ્ચે એક મજાનો માહોલ ઊભો કરી દીધો.

                સાથે સાથે ધબકારના અન્ય કલાકારોમાં – કી બોર્ડ સંભાળ્યું ડૉ. કેદાર ઉપાધ્યાય અને ભાર્ગવ પુરોહિતે, માલવ અને હરદિપે તબલા અને લલિતે ઢોલકની સંગતીથી દરેક ગીતમાં રમતીલો રંગ ભરી દીધો હતો.

                સમગ્ર બેઠકની વ્યવસ્થા અને ગોઠવણ કરવામાં જિગર, હરદિપ, શૈલ્યભાઈ, અર્પણ વગેરે મિત્રોનો ફાળો અમૂલ્ય હતો.

                અંતમાં આ બેઠકના દરેક કલાકારોને સારી રીતે સાંભળવા અને બિરદાવવા બદલ ત્યાં ઉપસ્થિત ૩૦૦ જેટલા શ્રોતાગણોનો હું ભાવાર્થ પંડ્યા સમગ્ર ધબકાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું.  ઉપરાંત બેઠકના રિપોર્ટ, ફોટોગ્રાફ્સ અને “અભિવ્યક્તિ”  ઈ-મૅગઝિન અંક - ૫ ને  www.dhabkar.com પર મૂકીને ફરી એકવાર આ સાઈટને ધબકતી કરવાનો પ્રયાસ કરવામા મંથનને સફળતા મળે એવી શુભેચ્છા સાથે ફરી મળીશું હવે પછીના કાર્યક્રમમાં…

- ભાવાર્થ પંડ્યા (ગાંધીનગર)

ગાંધીનગર પ્રોગ્રામના ફોટોગ્રાફ્સ (૨૯-૩-૨૦૦૯)

Filed Under (અમદાવાદ) by shailya on 01-04-2009

‘ધબકાર-મુંબઈ’ કાવ્ય ગોષ્ઠી

Filed Under (મુંબઇ) by manthan on 08-02-2009

મુંબઈમાં મંદ થયેલ ધબકાર પૂઃન ધબકવા લાગ્યા છે. ૨૬/૧૧ ની ત્રાસદી પછી ગાડી પાછી પાટે ચડી છે.
ગુજરાતી ભાષાને ધબકતી રાખવાના પ્રયાસના એક ભાગ રૂપે ‘ધબકાર-મુંબઈ’ દ્વારા એક કાવ્ય ગોષ્ઠીનું આયોજન દિનાંક ૮ -૨-૨૦૦૯ રવિવારના સાંજે ૪ કલાકે, કાંદીવલી મધ્યે થયેલ.સ્થળ હતું , શ્રી કાંદીવલી અચલગચ્છ જૈન ઊપાશ્રય. મહાત્મા ગાંધી ક્રોસ રોડ નંબર ૩, સ્વિમિન્ગ પૂલની નજીક, કાંદિવલી વેસ્ટ.
આ કાવ્ય ગોષ્ઠીમાં ૧૬ કવિ મિત્રોએ પોતાની કવિતા રજુ કરી, જે માણવા લગભગ ૨૦-૨૫ શ્રોતાજનો હાજર રહ્યા હતાં.
ગોષ્ઠીની શરુઆત હાજર કવિ મિત્રોની ઓળખ વિધિથી થઈ.
‘ધબકાર-મુંબઈ’ ના યુવા કવિ અને સફળ સંચાલક અને ગાયક ચિંતન નાયકે પોતાની ભાવવાહી ગીતનું પઠન કર્યું તથા પોતાના મધુર સ્વરમાં “માડી તારું કંકુ ખર્યુંને સૂરજ ઉગ્યો” ની થોડી પંક્તિ રજુ કરી. એ પછી વિનય પંડ્યા એ કાવ્ય પાઠ કર્યું અન અષાઢી સ્વરમાં “શિવ તાંડવ”ના થોડા છંદ ગાઈ સૌને આનંદ કરાવ્યો. હાજર સૌ કવિઅ મિત્રો એ પોતાની કાવ્ય રચનાથી માહોલ કાવ્ય મય બનાવ્યો હતો.
‘ધબકાર-મુંબઈ’ના અહોભાગ્ય હતાં કે ગુજરાતી ગઝલ નાં જાણકાર અને જેમણે ગઝલ પિંગળ પર પુસ્તકો લખ્યા છે એવા શ્રી આશિત હૈદરાબાદી એ પણ પોતાની ગઝલનું પઠન કર્યું. ગઝલ પઠન પછી શ્રી આસિત હૈદરાબાદી સાહેબે કાવ્ય રચનામાં સામાન્યતહ રહી જતા દોષ બાબત સૌને માર્ગદર્શન આપ્યું. અછાંદસ , ગીત, ગઝલ વિશે જરૂરી તકેદારીઓ અને આવશ્યક ભાવ વગેરે વિશે વિસ્તૃત માહિતી આપી.ઊપરાં જો કોઈ કવિ -ગુરૂ હોય તો કાવ્ય દોષ કાલાંતરે ઓછા જાય છે એ બાબત સૌનું ધ્યાન ખેંચ્યું.
આ ગોષ્ઠીમાં આશિતભાઈ ઊપરાંત પ્રગતિ મિત્ર મંડળ, કાંદીવલીના શ્રી પરેશ્ભાઈ પંડ્યા અને પત્રકાર શ્રી સ્પર્ષ દેસાઈ એ પણ સૌને માર્ગદર્શન આપ્યું. પરેશભાઈ એ ભવષ્યની ધબકાર કાવ્ય ગોષ્ઠી માટે પ્રગતિ મિત્ર મંડળની જગ્યા કે જ્યાં માઈક અને ખુરશીઓની સગવડ છે એ હોલ આગતરી વિનંતીથી ફાળવવાની બાયંધરી આપી. શ્રી સ્પર્ષ દેસાઈએ આગામી મહિનાઓમા કાવ્ય વર્ક શોપ માટે સહાયતા કરવાની અને યોગ્ય મારગ્દર્શક મેળવી આપાવવાની તૈયારી દાખવી હતી અને અમ્રુત ગંગરે પણ આગામી કાર્યક્રમ માટે સહાયતા કરવાનું વચન આપ્યું હતું.
આજની કાવ્ય ગોષ્ઠીની સંપુર્ણ વ્યવસ્થા અને ખર્ચ શ્રીમતી દિપ્તીબેન ઝવેરી તથા શ્રી કાંદિવલી ક.વિ.ઓ. જૈન મહિલા મંડળે સંભાળ્યું હતું અને સાહિત્યને લગતા ધબકારના આગામી કાર્યક્રમો માટે પણ સહાયતા ની તૈયારી દાખવી હતી. ચેતન ફ્રેમવાલા એ સૌ વતિ શ્રીમતી દિપ્તીબેન ઝવેરી તથા શ્રી કાંદિવલી ક.વિ.ઓ. જૈન મહિલા મંડળ નો આભાર માની ગોષ્ઠી સમાપન કર્યું હતું સાંજે ૭.૩૦ કલાકે સૌ આજની યાદો વાગોળતા ફરી મળવાના કૉલ સાથે છૂટા પડ્યા.
જય ગુર્જરી.
ચેતન ફ્રેમવાલા
આ ગોષ્ઠીના કવિઅમિત્રોની એમના પઠનના ક્રમ પ્રમાણે યાદી
૧ ચિંતન્ નાયક
૨. વિનય પંડ્યા.
૩. કાજલ વસુ
૪. પ્રગ્ના ગંગર
૫ દિપ્તીબેન ઝવેરી.
૬.મધુભાઈ શાહ્૭
૭. દિનેશ ઑડેદરા.
૮. અમૃત નિશર.
૯. હસમુખ ધરોડ.
૧૦ ચેતન ફ્રેમવાલા
૧૧. ગિરીશ્ભાઈ જોષી
૧૨. ચંદ્રકાંત સંઘવી.
૧૩. લાભશંકર જાની
૧૪ સ્પર્શ દેસાઈ
૧૫ પરેશભાઈ પંડ્યા
૧૬. આશિતભાઈ હૈદરાબાદી.

જીવનસંધ્યા માટે સાચા અર્થમાં એક સૂરીલી સંધ્યા

Filed Under (અમદાવાદ) by manthan on 06-02-2009

મિત્રો ૨૫ જાન્યુઆરીની સાંજ જીવનસંધ્યા માટે સાચા અર્થમાં એક સૂરીલી સંધ્યા બની રહી. જીવનસંધ્યા નારણપુરા અમદાવાદ ખાતે આવેલો એક વૃધ્ધાશ્રમ છે જ્યાં લાગણીની નદીઓએ ફરજિયાત થંભી જવું પડ્યું છે. સંતાનોની હૂંફ અને ઘરની છત નીચે રહી શકવાને બદલે અહીં આ મકાનમાં આશ્રય લેવો પડ્યો છે તેમને થોડો આનંદ આપી શકવાનો એક પ્રયત્ન ‘ ધબકાર ’ પરિવારે કર્યો. દર બે અઢી મહિનાના અંતરે યોજાતી ધબકારની બેઠક આ વખતે અહીંના વડીલોની નિશ્રામાં યોજાઈ. રવિવારની એ સાંજને સૂર અને શબ્દથી ભરી દેવાનો ધબકારના સભ્યોનો આ પ્રયત્ન હતો.
દર વખતની જેમ સુંદર ગીતો અને કાવ્યોનો ખજાનો લઈને ધબકારના કવિઓ ગાયકો અને તેમને સંગીતમાં સાથ આપનારા મિત્રોએ બેઠકની શરૂઆત કરી. આ સમયે ગુજરાતના જાણીતા અને માનીતા હાસ્ય લેખક શ્રી અશોક દવે અમારા આમંત્રણને માન આપીને હાજર રહ્યા જે અમારા સૌ માટે ગર્વની વાત બની રહી.
ડૉ. કેદાર ઉપાધ્યાયના પ્રાર્થના ગાન સાથે શ્રી અશોક દવે અને જીવન સંધ્યાના સંચાલકશ્રીએ દિપ પ્રાગટ્યથી બેઠકનો પ્રારંભ કર્યો. અમારા વડીલ સુધા આંટીએ મહેમાનોનું સ્વાગત કરીને ધબકાર ડૉટ કોમ પર પ્રસિધ્ધ થતા અમારા ઈ-મેગેઝિન ‘અભિવ્યક્તિ અંક - ૫’નું વિમોચન કર્યું. અને શ્રી અશોક દવેએ તેમની શૈલીમાં સંબોધન કરીને સૌના ચહેરા પર હાસ્ય રમતું કરી દીધું. સાથો સાથ ‘જીવન સંધ્યા’માં રહેતા વડીલો સામે એક રહસ્ય તેમણે ખોલ્યું – ‘ તમને અહીં મોકલી દઈને તમારા સંતાનોએ તમને ગુમાવ્યા છે. તમે સૌ અહીં એક નિશ્ચિંત જીવન જીવો છો, ગુમાવ્યું તો એમણે છે.’ અશોકભાઈના આ શબ્દોએ વાતાવરણને જીવંત બનાવી દીધું. અને એ માહોલમાં બેઠકને આગળ ધપાવી, શરૂ થયો સૂર અને શબ્દની સાધનાનો પ્રયત્ન. ત્યારબાદ બેઠકના સંચાલનનો દોર ડૉ. પાર્થે સંભાળ્યો.
કવિશ્રી અંકિત ત્રિવેદીના એક ગીત – ‘સાત સૂરોના સરનામે અમે તમને મળવા આવ્યા…’ સમૂહમાં ગાઈને ધબકારના સભ્યોએ હાજર રહેલા સૌને આવકાર્યા. નિધી મહેતાએ – એક નવું જ કમ્પૉઝિશન ‘રસ સભર મન’ સંભળાવ્યું
તો વળી ડો.ફુલવાએ ખૂબ જાણીતું ગીત ‘ખોબો ભરીને અમે એટલું હસ્યાં’ એ એક અલગ જ રીતે રજૂ કર્યું. ત્યારબાદ ખુશ્બુએ ‘પૂછીને થાય નહીં પ્રેમ’ એ ગાઈને સંભળાવ્યું-સમજાવ્યું. જ્યારે ગાંધીનગરની નુપુર ખુમારે શ્રી મુકેશ જોષીની રચના ‘હરિ તમે તો સાવ જ અંગત,સાંભળજો આ અરજી’ ગાઈને વાતાવરણ ભાવવિભોર કરી દીધું.પ્રભુને સમજાવ્યાં કે કેવી રીતે તમારે મારા માવતર પાસે મારા હાથની માગણી કરવાની છે અને છતાંય જો ઘરનાં લોકો લગ્નની મંજૂરી ના આપે તો હું તમારી સાથે આવીશ, આપણે ભાગીને લગ્ન કરી લઈશું…ઘર માંડીશું, અમૃત અમૃત થાશું. આવી સુંદર રચના સાંભળીને સૌ ડોલી ઊઠ્યાં. તો વળી કૃતિ જોષીએ ‘સાયબો મારો ગુલાબનો છોડ” ગાઈને સૌને ઝૂમતાં કરી દીધા. રુચિ ત્રિવેદીએ “નજર્યુંના કાંટાની ભૂલ મારા વાલમા, વીંધે હૈયું ને તોયે ફૂલ મારા વાલમા’ સંભળાવ્યું, દીપક ઠાકરે ‘બાગમાં ટહૂકો છળે તો શું કરું’ ખૂબ સરસ રીતે રજૂ કર્યું.
ગુજરાતી ગીત-સંગીતના આ દોરમાં વચ્ચે-વચ્ચે ધબકારનાં કવિ મિત્રોએ પોતાની રચના રજૂ કરી જેમાં રેખાબેન જોષીએ ત્યાં હાજર વડીલોની લાગણીને વાચા આપતી એમની ક્રુતિ ‘અમે છીએ દાદા-દાદી, જૂની આંખે નવું ભાળીએ, લાગે થાતી સંસ્કૃતિની બરબાદી, અમે છીએ દાદા-દાદી’ રજૂ કરી.તે ઉપરાંત કૈરવભાઈ ધબકારના ફાઉન્ડર મેમ્બર શ્રી શૈલ્ય શાહે તેમની સાવ જ નવી રચનાઓ સંભળાવી અને અમારા સુધા આન્ટીની કવિતા વિના તો બેઠક અધૂરી જ લાગે. સુધા આન્ટીએ પોતાની રચનાથી જૂના અમદાવાદની છબી તાદ્રશ્ય કરાવી.
આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન સ્ટેજ પર સંગીતમાં સાથ આપનારા મિત્રો હતાં-ડો.કેદાર ઉપાધ્યાય-કી બોર્ડ, હાર્દિક પુરોહિત -હાર્મોનિયમ સાથે. જ્યારે સાઈડ રિધમ અને તબલા સાથે તાલ પૂરાવ્યો લલિત,વત્સલ, અનીસ અને ધૃ5વલે.
કવિ જવાહર બક્ષી લખે છે કે, “કોઈ એકાદ ક્ષણ રહે તો આખા પ્રસંગનું વાતાવરણ રહે.” એવી જ ક્ષણ હતી છેલ્લે જ્યારે ‘જીવન-સંધ્યા’ના તમામ વડીલોએ પોતાના અનુભવસિધ્ધ હાથો વડે ધબકારના સભ્યોને ખૂબ-ખૂબ આશીર્વાદ આપ્યાં. કહેવાની જરૂર ખરી કે હૃદયપૂર્વકના આ આશીર્વાદથી જ હવે પછી યોજાનારી છઠ્ઠી બેઠક પણ એટલી જ અને કદાચ એનાથી પણ વધુ સફળતાથી યોજી શકાશે.
તો આ હતી ધબકારની સફરના પાંચમા પડાવની વાત અને હવે છઠ્ઠાની રાહ…ને આમ જ, માતૃભાષાની અવિરત સેવા કરવાની ચાહ સાથે જ….
-ધબકાર પરિવાર વતી

ધબકારના મુંબઈમાં શબ્દમય અને સૂરીલા શ્વાસ

Filed Under (મુંબઇ) by નીરજ on 30-04-2008

 મુંબઈમાં ધબકારના પ્રથમ અને  દ્વિતીય શ્વાસ બાદ ધબકારના સભ્યોની વિવિધ પ્રતિભા દર્શાવતી સોહામણી ક્ષણ એટલે તા. ૧૩/૦૪/૨૦૦૮ ને રવિવારે સાંજે ૩:30 કલાકે યોજાયેલી મીટિંગ . મુંબઈના ઉપનગર ગ્રાંટરોડમાં આભને ટેકો દઈને ઉભી હોય એવી ૧૮ માળની બિલ્ડિંગમાં ૧૧માં માળે રહેતા ચેતનભાઈ ફ્રેમવાળાના નિવાસસ્થાને આ મીટિંગ યોજાયેલી. આ શબ્દમય અને સૂરીલી મીટિંગ મુંબઈનાં ધબકતા ધબકારનું  અનોખુ નજરાણું બની ગઈ. આ કાર્યક્રમની શરૂઆત શ્રી ચંદુલાલ ફ્રેમવાલા ગણપતી વંદના અને સરસ્વતી વંદનનાથી કરી હતી. ત્યાર બાદ રૂપા ગડા એ સ્વાગત રૂપી પુષ્પો વેર્યા હતા અને ધબકારની એક અનોખી સાંજની શરૂઆત થઈ, ધબકારના યુવા સંચલકો ખેવના દેસાઈ અને વિનય પંડ્યાએ સંચાલન નો દોર સંભાળ્યો.

 આ મીટિંગને બે વિભાગમાં વહેચંવામાં આવી પહેલા કવિ સંમેલન અને ત્યાર બાદ સુગમ સંગીત એજ રીતે પહેલા કવિ સંમેલનની શરૂઆત થઈ અને ધબકારના કવિઓએ કવિતા પોતાની આગવી શૈલીમાં કાવ્યપઠનની શરૂઆત કરી. ઉગતા નવોદિત કવિઓ એ ગીત, ગઝલ, અછાંદસ સ્વરૂપોમાં  પ્રેમ, હાસ્ય, વિરહ, સમાજીક અનિષ્ઠતા અને પ્રકૃતિ સૌંદર્ય જેવા વિવિધ તત્વો આવરી લીધા હતાં

 કવિતા રજૂ કરનાર કવિઓમાં કાજલ વાસુ, ખેવના દેસાઈ, વિનય પંડ્યાંસિફર‘, કપિલ દવે, ચેતન ફ્રેમવાળા, ગીરીશ ભાઈ જોષી, પરેશ ભાઈ પંડ્યા,હસમુખ ધરોડઅંકુર‘, અને મંજુલાબેન પાસડ  હતાં

 

ત્યાર બાદ મીટિંગનો બીજો તબ્બકો એટલે સુંગમ સંગીત, જેમ સોનામાં સુંગધ ભળે તેમ શબ્દોમાં સૂર ભેળવવાનો સમય આવ્યો, શબ્દોની સાથે સૂરની રલમછેલ બોલવવાનો સમય આવ્યો. જેમાં નામાંકિત કવિઓ જેવાકે અવિનાશ વ્યાસ, વેણીભાઈ પુરોહિત, ઝવેરચંદ મેઘાણી જેવા મરજીવાઓએ વિણેલા મોતી જેવી રચનાને સંગીતમય રૂપ આપી એક પછી એક છાબમાં ગોઠવાવા મંડાણી અને છાબ જાણે છલોછલ નવરત્નોથી છલકાઈ ગઈ નવોદિત ગાયકો એ પોતાના સૂરોની જાણે લ્હાણી કરી હોય તેમ સર્વ રસીકોને સૂર અને તાલમાં તરબોળ કરી દિધા.

 ભક્તિ સંગીત, ગઝલ, ગીત, સુગમ અને સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડના આત્મા સમુ લોકસાહિત્ય અને માટીની મીઠી મહેક છેક મુંબઈ સુધી પહોંચી ગઈ હતી. ધબકારમાં (સૂર) શબ્દનો સથવારો કરી ને ગાયકોએ શ્રોતાઓને તરબતર કરવા જે ગીતો ગાયા હતા તે આ મુજબ છે

 

૦૧, શબરી બોર કદિ (કદી) ચાખ્યાં હશે - ભાવના દેઢિયા

 ૦૨, ગાયો ચારીને ગોવિંદ ઘેર આવ્યા રે   - કાજલ વાસુ

 ૦૩, સૂના સરવરિયાને કાંઠડે - ખેવના દેસાઈ

 ૦૪, તમે થોડુ ધણું સમજો તો સારું - નિલાબેન કડકિયા

 ૦૫, મળે છે જાગૃતિમાં જ્યારે તું    - આશીક પુંજાણી

 ૦૬, એક દી સર્જક ને આવ્યો   - આશીષ પુંજાણી

 ૦૭, કાજળના અંધકારે   - વિજલ પટેલ

 ૦૮, દિકરો (દીકરો) મારો લાડકવાયો - દિપા ગડા

 ૦૯, હું ક્યાં કહુ છું આપની - હસમુખ ગડા

 ૧૦, બસ કરો કે શ્વાસ મુજ રૂંધાય છે  - ચેતન ફ્રેમવાળા (સ્વરચિત)

 ૧૧, પાટણથી પટોળા મોંઘા લાવજો   - હિના શાહ

 ૧૨, લાલ લાલ ચૂંદડી રંગાવ મારી માડી   - ભાવના ડેઢિયા અને હિના શાહ

 ૧૩, મન મોર બની થનગાટ કરે,શિવ તાંડવ અને  દુહા છંદ ની રમઝટ    - વિનય પંડ્યા

 

આવા સરસ ગીતો રજૂ કરીને ગાયકોએ દરેકને મંત્રમુગ્ધ કરી દિધા હતા, અને ખરેખર ખૂબ જ સુંદર સાંજ હતી, કોઈને જવાનું મન નહોતું થતું પણ શું કરીએ જવું તો પડેજ …….આ રમણીય સાંજ હસમુખભાઈ ધરોડની આભારવિધિ સાથે પૂર્ણ થાય છે

 ચેતનભાઈ ફ્રેમવાળાએ  ધબકારની મીટિંગમાં આવેલા દરેક કવિ ગાયકો અને શ્રોતાગણ માટે અલ્પહારની વ્યવસ્થા કરેલી અને ધબકારની આ મીટિંગ થયેલ તમામ ખર્ચો ચેતનભાઈ ફ્રેમવાળાએ આપેલ છે એ બદલ ધબકાર એનો ખૂબ ખૂબ આભાર માને છે.