સુરતમાં ધબકારના પગરવ

Filed Under (સુરત) by નીરજ on 04-03-2008

Tagged Under : , , , , , , , , , , , , , , , , ,

સુરત, એક એવી ધરતી કે જ્યાં, પોળ અને શેરીઓ પણ હોય; અને ફ્લાયઓવર્સ અને સ્કાયસ્ક્રેપર્સ પણ. પરંપરાગતાથી માંડીને અલ્ટ્રામોર્ડન શૈલીનો સમન્વય એટલે સુરત. સૂર અને શબ્દોના સમર્થ રસિકોનું શહેર એટલે સુરત. મિત્રોનાં પ્રેમ અને આવકાર પર ધબકાર સુરત પહોંચ્યું.
શ્રી ભૌમિક પંડ્યા અને શ્રી અદ્વૈત શર્માના આમંત્રણ પર ધબકાર તારીખ ૨/૩/૨૦૦૮ ના સુરત પહોંચ્યું. ગુજરાતી સંગીત અને લેખનની કર્મભૂમિ સમાન સુરતમાં પહોંચતાં જ સહુને આનંદ થયો. ધબકારની સુરત મીટીંગનું આયોજન શ્રીમતી નિરજા પરીખે કર્યું હતું.
સુરત જવાનો મુળ હેતુ ભલે ધબકારને સુરતમાં ધબકતું કરવાનો હોય, પણ સુરત જવાનું મુળ પ્રોત્સાહન હતું, સાહિત્યનાં અદ્વિતિય સાધક “શ્રી ભગવતીકુમાર શર્મા”નાં દર્શન કરવાં, તેમની સાથે બેસી ધબકાર માટે માર્ગદર્શન લેવું. લેખન અને નિરૂપણનાં ગુણધર્મ જાણવાં. આ લ્હાવો લુંટવા અને આશિર્વાદ લેવાં અમદાવાદથી મંથન,કાંક્ષિત અને શૈલ્ય સુરત ગયાં હતાં.
સુરત સ્ટૅશન પર પહોંચતા પહેલાં જ ભૌમિક અને અદ્વૈત અમદાવાદથી આવેલા મિત્રોને આવકારવા સ્ટૅશન પર આવી પહોચયાં હતાં.
સુરતમાં ધબકારનો પ્રથમ પડાવ શ્રી ભગવતીકુમાર શર્માનાં ઘરે રહ્યો. થોડાક જ સમયમાં શ્રી ભગવતીકુમાર શર્મા સહુ માટે આદરણીય “દાદા” બની ગયાં. પુજ્ય દાદાને ધબકાર વિષે જણાવતાં જ તેમના આશિર્વચનો ધબકારને મળવાં માંડ્યાં. દાદા જેમ પોતાનાં પૌત્રોને ડગ ભરતાં શીખવાડે તેમ તેઓ ધબકારની આંગળી ઝાલી રસ્તો બતાવવા માંડ્યા.
ઈન્ટરનેટ જેવાં માધ્યમથી ગુર્જરીની સેવા કરવાનો ધબકારનો અલાયદો ચીલો જાણી તેમને ઘણો આનંદ થયો. ઈન્ટરનેટ ને કારણે ભુલાતી પુસ્તક વાંચનની ટેવને જીવંત રાખવાનું ધબકારનું ધ્યેય તેમણે વધાવી લીધું.
દાદાએ ધબકારની આવનારી પુસ્તિકા માટે પ્રસ્તાવના લખવાનો પ્રસ્તાવ આવકારી અને કહ્યું કે જો નવોદીતો નિષ્ઠા, ધ્યેય અને દ્વટ સંકલ્પથી કવિતાની આરાધના કરતાં હોય તો તેઓ સદૈવ ધબકારની સાથે જ છે.
તેમની જોડેનો સંવાદ કવિતા, વાર્તાલેખન, નવલકથા અને ભાષાનાં અનેકવિધ પ્રકારોથી આગળ વધીને લેખન શૈલી, ભાષા સામર્થ્ય, માનસિક વિચારો, વિચારોનું સિંચન અને યુવાનોની કવિતા લેખનમાં કરાતી અધીરાશ એવી ઘણી વિગતો સુધી વિસ્તરિત રહ્યો.
કાંક્ષિતે પુજ્ય દાદાને વિનંતિ કરીકે તેઓ નવોદીતોને માર્ગદર્શન આપતાં અમુક શબ્દો કહે.તે આશિર્વચનો ધબકાર સાઈટ પર એક અલગ રીપોર્ટ તરીકે અપલોડ કરવામાં આવશે.
દાદાએ તેમની “અમે આંધી વચ્ચે તણખલાંનાં માણસ” ગઝલ સંભળાવી સહુને મોહી લીધાં. આ રચનાઓ રજુ કરવા પાછળનો મુળ હેતુ ગઝલનાં ફોરમેટને સમજવાનો હતો. શૈલ્ય અને કાંક્ષિતે પણ પોતાની રચનાઓ રજુ કરી.
ભૌમિક અને અદ્વૈતે સુરતી લોચો ખવડાવી સહુને એક નવાં સ્વાદથી અવગત કરાવ્યાં.
ત્યાર બાદ, ધબકારની સુરત મીટીંગનું આયોજન કરવાં માટે જેઓ આગળ આવ્યાં હતાં તેવાં નિરજાબેનને ઘેર સહુ ગયાં.
ધબકારની પ્રથમ મીટીંગ T & TV સ્કુલનાં હૉલમાં રાખવામાં આવી હતી. ધબકારની મીટીંગમાં પ્રથમવાર એવાં મૅમ્બર્સ આવ્યાં હતાં કે જેઓ “પોલિશ્ડ પૉએટસ્” હતાં. આથી ધબકારની વાતે વળાંક લીધો.
નવોદીતોને એકમેક સાથે મેળવી આગળ વધનાર ધબકાર, આ કવિઓની ભાષા, અભિવ્યક્તિ અને લેખનજ્ઞાનનો સફળતાપૂર્વક ઉપયોગ કરે તેવી વાત સામે આવી. સુરતી હૃદય અને વર્તનની ઝલક પળે પળે મળતી હતી.
મીટીંગ નાં અંતે એવો નિર્ણય લેવાયો કે સુરતનાં નવાં મેમ્બર્સ કે જેઓને લેખનનાં સિધ્ધ સાધકોનું માર્ગદર્શન ભૌતિક રીતે મળે છે, તેઓ ધબકારનાં બધાં જ નવોદીતો અને કવિઓને પ્રથમ તો એક વેબ પેજ દ્વારા અને પછી સેમિનારનાં માધ્યમથી કાવ્યલેખન, છંદ, કવિતાનાં પ્રકાર અને લેખન શૈલીનાં મૂળ સિધ્ધાંતો નું માર્ગદર્શન નિર્ધારિત સમયાંતરે પૂરા પાડતાં રહેશે. સુરતનાં કવિઓએ તેઓનાં અમદાવાદમાં વસતાં મિત્રોનો રેફરન્સ પણ આપ્યો અને બનતી બધી જ મદદ કરવાનો વાયદો પણ કર્યો. અસલ સુરતી મીટીંગ માણી સહુ છુટાં પડ્યાં.
નવાં મિત્રો, નવાં વિચારો અને નવાં ધ્યેય સાથે સુરતમાં ધબકારનાં એક નવાં અધ્યાયની શરૂઆત થઇ.

Learn more HyperWebEnable.com.